Updated - 2023-03-29 16:06:29
પ્રવીણ પટેલઃ વરસાદના સારા વાવડ પછી આપણે ખરાડ અથવા તો સૂર્યપ્રકાશ નીકળે તો ખાતર આપી પાળા ચડાવવાની કામગીરી કરવાની છે. જે ખેડૂતને આગતરો કપાસ છે તેમને સાવચેત થવાની જરૂર છે. છેલ્લા ૫ દિવસમાં તમે નીરખીને કપાસના છોડનું નીરીક્ષણ કર્યું ? કપાસના ફૂલોમાં નજર કરી ? રોઝેટેડ ફૂલ દેખાય તો તોડીને બાળી દો. આપણે ખેતરે આંટો પણ મારવો નથી ને કપાસના મણીકા પકવવા છે !આવું હવે નહિ ચાલે! ગુલાબી ઈયળ આવી તે પહેલા લીલી ઈયળ, લશ્કરી ઈયળ, થ્રીપ્સ, કથીરી, કપાસનું લાલ થઇ જવું. વગેરે કેટકેટલા પ્રશ્નો આવ્યા હતા તે બધા સામે આપણે સામુહિક પગલા લઈને સાચી અને ભલામણ કરેલી સાચી દવાઓ, ફૂગનાશકો, ખાતરો વાપરીને વિજય મેળવેલો જ છે. ગુલાબીથી ડરી જવાની જરૂર નથી. અવલોકન કરવાની જરૂર છે. આજેજ ખેતરમાં આંટો મારો, જો ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢીના ફૂદા વાંકાનેર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. વહેલા વાવેતર વાળા ખેડૂતો ઉઠો જાગો અને અવલોકન કરો. ફેરોમોન ટ્રેપ ગોઠવી તમારા વાડી વિસ્તારમાં ફૂડની પ્રવૃત્તિને રોજ આંટો મારી જોવાનું શરુ કરો અને છંટકાવ શરુ કરો.
બીજાને પ્રોત્સાહિત કરો, ડરાવો નહિ. સમજી લ્યો કે, ગુલાબી ઈયળ નીયંત્રણ માટે અત્યારે ગુલાબી ઈયળની લ્યુર વાળા વીઘે ૪ ફેરોમોન ટ્રેપ મુકો, ફેરોમોન ટ્રેપમાં ભૂખરા રંગના નાનકડા ઝાલરવાળી પાંખોવાળા ફૂદા પકડાતા રહે ત્યાં સુધી દર અઠવાડિયે નીચેની દવા ( સારી કંપનીની લેજો) છાંટવાનું શરું રાખો, એ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, વાવણીમાં વાવેલા કપાસને ઓક્ટોબર સુધીમાં ફળફૂલ લગાડી દીધો તે ખેડૂતો લાભમાં રહેશે. ફૂદાના નિયંત્રણ માટે વાડીએ લાઈટ ટ્રેપ ( પીળા બલ્બ)ની નીચે કેરોસીન અથવા ડીડીવીપી ના દ્રાવણ વાળું પહોળું વાસણ પણ રાખી શકાય. આ ઉપરાંત પીળા કલરના પ્લાસ્ટિક ઉપર ગમ લગાડેલું સ્ટીકી ટ્રેપ જે બજારમાં ક્રોપ ગાર્ડના નામે મળે છે તેનો પણ ઉપયોગ કરો ચુસીયા અને ફૂદા પીળા પતાકડાના ગુંદર ઉપર કેવા ચોટી જાય છે તે જુઓ. ૧. પહેલો છંટકાવ : એમાંમેક્ટીન + ડીડીવીપી ૨. બીજો છંટકાવ : લેમડાસાયલોથ્રીન + ડીડીવીપી ૩.ત્રીજો છંટકાવ : ડેલ્ટામેથ્રીન +ડીડીવીપી
આપણે કોઈપણ પાકનું ઉત્પાદન વધારવામાં મધમાખીનો બહુ મોટો ફાળો છે, ફળપાકો હોય કે શાકભાજી બધામાં ફળમાખીના લીધે ફલીનીકરણ થાય છે અને તેના લીધે આપણા પાકોનું ઉત્પાદન વધે છે. આપણા ખેતરની આસપાસ મધમાખી વધુ આવે કઈ રીતે તે વિચારવાનો પણ સમય છે. ફૂલો વાવવા, રજકો વાવવો વગેરે.. હવે તો મધ પેટી રાખીને મધ ઉત્પાદનની સાથે સાથે મધમાખી દ્વારા આપણા પાકનું ફલીનીકારણ વધારીને ઉત્પાદન વધારી શકીએ. પણ આપણે સાવ ભૂલી ગયા છીએ, મધમાખીની હાજરી હોય ત્યારે જંતુનાશકનો છંટકાવ કરવો જોઈએ નહિ. મધમાખીને નુકશાન કરતી જંતુનાશકોનો ઓછો છંટકાવ કરવો જોઈએ.
જે ખેડૂતોએ ગ્રીન હાઉસ કાર્ય છે તે બધા કૃષિ નિષ્ણાંતોની સલાહ લે છે અને પછી જ બીજની પસંદગી કરે છે . ગ્રીન હાઉસ ખુબ જ ખર્ચ કરીને તૈયાર કરેલું સ્ટ્રક્ચર છે તેમાં એવા જ પાકો વવાય કે જેમાં બઝાર ઉંચો રહેતો હોય અને હા ગ્રીન હાઉસ માટેના બિયારણ એટલે કે અન્ડર કવર માટેના અલગ હોય છે નહિ કે બઝારમાં મળતા ઓપન ફિલ્ડ ના બીજ ગ્રીન હાઉસમાં વાવી દેવા. આ બધી વૈજ્ઞાનિક સમાજ ગ્રીન હાઉસ કરનારે અપનાવી નહિ અને સબસીડીના લોભે કરેલા ગ્રીન હાઉસ આજે ભાડે મળે છે અથવા જાહેરખબર વાંચવા મળે છે કે ગ્રીન હાઉસ વેચવાનું છે.