Updated - 2023-03-29 08:43:34
રમેશ ભોરણિયા તા.૨૯ઃ બે દિવસથી સૂર્યનારાયણે દર્શન દીધા છે. હમણા સુધી સતત ભેજયુક્ત વાદળિયુ હવામાન હોવાની વાત કરતા જામનગરના જામજોધપુર તાલુકા મથકેથી અભ્યાસુ ખેડૂત આર. કે. પરસાણિયા (મો.94283 18044) કહે છે કે બીજા રાઉન્ડનો વરસાદ હજુ ક્યાંય મનમુકીને વરસ્યો નથી. આ તો છેલ્લા દશેક દિવસથી પડતા વરસાદી ઝાપટાથી મોલાતને પાણી વગર પાંચ-પંદર દિવસ ખેંચી જવામાં વાંધો નથી. કોઇ ખેતરોમાં આગોતરા કપાસ છાતીસમા થી માથોડાઢક પણ જોવા મળે છે. વાવણીના કપાસ હજુ માંડ ગોઢણે પુગ્યા છે. ધમધોકાર વરસાદ આવે એવી કોઇ આગાહીઓ નથી. પુરેપુરી વરાંપ નીકળે એટલે વાવણીના કપાસને આગળ ધપાવવા માટે ખેડૂતો નાના પાળા ટેકવી, પુરક પિયત ચાલુ કરશે. એક બાજુ પાણીના તળ હજુ ઉંચા આવ્યા નથી, ત્યારે કપાસના આખા પાટલા, ભલે એક મુકીને એકમાં પિયત આપીએ, પરંતુ પાણીનો મોટો વેડફાટ થાય છે. પરસાણિયાજીએ સવાલ કર્યો કે પાણીના બગાડને બદલે ઉપયોગ કરવા માટે ખેડૂતોએ વાવણીના કપાસમાં ક્યોં આંતરપાક લેવો ?
તરઘડિયા સૂકી સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ. એસ. ગજેરા (મો.94287 88712) કહે છે કે એક તો અમેરિકન ડોડાની મકાઇ અથવા તલ અથવા મગ કે અડદમાંથી કોઇપણ એકાદ પાક પસંદ કરી શકાય. દેવભૂમિ દ્રારકાના જામખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામના કેતનભાઇ નકુમે (મો.94272 39143) અગાઉથી જ કપાસના આંતરપાકમાં મગનું વાવેતર કરી કપાસનું જોખમ ઘટાડ્યાનો દાખલો છે. જૂનાગઢ તાલુકાના કેટલાક ખેડૂતોએ કપાસની બે હાર વચ્ચે સોયાબીન વાવ્યાના સમાચાર પણ છે. 1