Updated - 2023-06-02 16:47:57
રમેશ ભોરણિયાઃ અત્યારે શિયાળું વાવેતરમાં જીરાનો પાક હોટફેવરીટ છે, ત્યારે ગત વર્ષે કેટલાક ખેડૂતોએ જણાવેલ વાત મમળાવીએ. સાતેક વર્ષ પહેલા દાંતીવાડા ખાતે આવેલ મુખ્ય મસાલા સંશોધન કેન્દ્રના એક કૃષિ વૈજ્ઞાનિકે કહ્યું હતું કે લીંબડી અને સુરેન્દ્રનગર વચ્ચેના પટ્ટામાં ક્યારેય જીરૂ ન વવાયેલ જમીનમાં ખેડૂતોએ 1 ગુંઠા દીઠ 1 મણ એટલે કે સૌરાષ્ટ્રના પ્રચલિત 16 ગુંઠાના વીઘા દીઠ 16 મણ જીરૂનો પાક લણ્યાના દાખલા છે. એ વખતે આ વાત જાણી અચરજ થઇ હતી.
ગત વર્ષે જીરાની કાપણી સમયે જામનગરના જોડિયા પંથકમાં રખડપટ્ટી વખતે બાદનપર ગામના ખેડૂત વલ્લભભાઇ રાણીપા (મો.94291 19832)એ કહ્યું હતું કે અમારી ઉંડ નદી કાંઠાની જમીનોમાં જીરાના વાવેતર કરનાર ખેડૂતોમાં હવામાન પારખવાની સાથે દવાઓ વાપરવાની કૂનેહ હોય તેઓ આરામથી 10 મણિકા પેદા કરી જાણે છે.
ખાતર-પોતર સાથે દવાઓ વાપરવામાં ખૂતાખૂત મહેનત કરનારા કેટલાક ખેડૂતો વીઘા દીઠ 16 મણ જીરૂ પેદા કર્યાના દાખલા પણ છે. અહીંની જમીનો કણકઢી છે, તેથી નવાઇ પામવા જેવું નથી, હા ખેડૂતની ખીદમત અને હવામાન બાબતે કુદરતનો સાથ હોય તો જીરાના 16 મણ પેદા કરવા આસાન છે. જીરાનો પાક વાવ્યા પછી વધીને 45 દિવસ સુધીમાં 5 પિયત આપ્યા પછી ગોઠણસમા જીરાના છોડ થાય છે. એમાં એક, બે અને ત્રણ માળ હાજર હોય છે. આવા જીરામાં કાળિયો બેસવા ન દો એટલે 16 મણિકા પાકા ! (૨૩ નવેમ્બર.૨૦૧૮)